અક્ષરધામ એટેકને આજે 20 વર્ષ થયા, જાણો શું બની હતી કંપાવનારી ઘટના

  • 2 years ago
ગાંધીનગરના અક્ષરધામ મંદિર પરના હુમલાને આજે 20 વરસ પૂરા થયા છે જે હુમલાને કારણે ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો.

તા. 24 સપ્ટેમ્બર, 2002નો એ દિવસ, મુલાકાતીઓ તથા શ્રદ્ધાળુઓ અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ રહ્યા હતા. એવામાં સૈન્ય Uniformમાં બે શખ્સ મંદિર પરિસરમાં દાખલ થયા અને એકે-56 રાઇફલોમાંથી અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા, આ સિવાય હેન્ડ ગ્રૅનેડ પણ ફેંક્યા.

શરૂઆતમાં ગુજરાત પોલીસે સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પહોંચી ન વળતા NSGનીમદદ માગવાનો નિર્ણય લેવાયો.

બ્લૅકકેટ કમાન્ડોની એક વિશેષ ટુકડી એ જ દિવસે સાંજે પહોંચી ગઈ અને મોરચો સંભાળી લીધો.

તેમણે આખી રાત અભિયાન હાથ ધર્યું અને બંને હુમલાખોરોનાં મૃત્યુ સાથે અભિયાન સમાપ્ત થયું હતું..

આખી રાત એનએસજી તથા બંને હુમલાખોરો વચ્ચે જે અથડામણ ચાલી, જે પછી બંનેનાં મૃત્યુ થઈ ગયાં. તેમાં 30થી વધુ લોકોનાં મૃત્યુ થયાં તથા 80થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા અને મૃતકોમાં ગુજરાત પોલીસના જવાન પણ સામેલ હતા...

એ પછી પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો કે હુમલા પાછળ પાકિસ્તાનના ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો અને મૃતક તેની સાથે જોડાયેલા હતા. મૃતકોને મદદ કરવા તથા કાવતરું ઘડવાના આરોપમાં છ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી.

જોકે, સુપ્રીમ કોર્ટે તમામ છને નિર્દોષ છોડી મૂક્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કર્યા હતા.

પણ આ હુમલાનું સત્ય આજે પણ જાણી શકાયું નથી.